– અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે
– ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા
આફ્રિકાના સુદાનમાં ગૃહયુદ્ધથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ત્યાં રહેતા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરવામાં આવેલ છે. આ ઓપરેશન હેઠળ અરાજકતાના માહોલ વચ્ચે ફસાયેલા ભારતીયો પરત આવ્યા છે. સુદાનથી સ્પેશિયલ ફ્લાઇટ અમદાવાદ પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈનો કોરોના પોઝિટિવ આવે છે તો તેના માટે ક્વોરન્ટાઈ કરવા હોટલની પણ સુવિધા કરવામાં આવી છે.
208 લોકોને લઈ એક પ્લેનનું અમદાવાદમાં આગમન
સુદાનમાં ઑપરેશન કાવેરી અંતર્ગત રેસ્ક્યૂ બાદ ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. તેના દ્વારા આજે 208 લોકોને લઈ એક પ્લેનનું અમદાવાદમાં આગમન થયું છે. આ તરફ હવે આ લોકોને અમદાવાદથી વતન પહોંચાડવા બસની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપ્યું નિવેદન
સુદાનથી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર સાથે ભારત પરત લાવવા માટે સેના સાથે મળીને કપરી પરિસ્થિતિમાં એક પછી એક વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. વોર ઝોનમાં લેન્ડિંગ કરવું ક્યારેય સરળ હોતું નથી, પરંતુ આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ જ હિંમતપૂર્વક પાર પાડી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
231 જેટલા ભારતીયો સુદાનથી હેમખેમ અમદાવાદ ખાતે લેન્ડ થયા
તેમણે ઓપરેશન કાવેરી વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા રાતોરાત કામગીરી કરીને ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે સુદાન હોય, આપણી સેના અને સરકારે હંમેશાં સફળતાપૂર્વક પોતાના લોકોને બચાવીને તેમના સ્વજનો સુધી પહોંચાડ્યા છે. આજે 231 જેટલા ભારતીય મૂળના સુદાનવાસીઓ હેમખેમ અને સંપૂર્ણ સુરક્ષિત રીતે અમદાવાદ ખાતે લેન્ડ થયા છે. જેમાં 208 ગુજરાતી, 13 પંજાબના અને 10 રાજસ્થાનના લોકો છે.
Leave a Reply