આજે 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ છે. વિશ્વભરમાં આજનો દિવસ હવા, પાણી અને જમીન જેવી પૃથ્વીની અમૂલ્ય સંપત્તિનું જતન કરવાના ઉદ્દેશથી મનાવવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના દરિયાકાંઠે અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા ‘અંબુજા ફોર વોટર’ અભિયાન વિશે. જળજાગૃતિ અંગે ચલાવાયેલી આ ઝૂંબેશમાં 21મી ફેબ્રુઆરી – 22મી માર્ચ સુધી 20,343 લોકોને જોડવામાં આવ્યા. વળી વિદ્યાર્થીઓને પણ જમીનનું જતન અને જાળવણી સમજાવવા કુદરતી ખેતીની સમજ આપવામાં આવી.
અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન(ACF) દ્વારા એક મહિના સુધી ચલાવાયેલી ઝુંબેશમાં લોકોને પાણીનું મહત્વ સમજાવવા અને બચાવવા અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જૂથો દ્વારા જળ જાગૃતિ અંગે સત્રો, ભૂગર્ભ જળ સંગ્રહ, પીવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ તેમજ જળયાત્રામાં જળ સંરક્ષણ માટેના સૂત્રો વહેતા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ જળ સંરક્ષણ અંગે જાગૃત બને તે માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા અને શાળાઓમાં ગ્રે વોટર મેનેજમેન્ટ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ACF દ્વારા જળ જાગૃતિ માટે ‘જળ સભા’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોને પાણી માટે પડતી અગવડો અને તેનો સામનો કરવામાં આવતા પડકારો વિશે મનોમંથન કરવામાં આવ્યું. ગ્રામ વિકાસ સમિતિઓને જળ સુરક્ષા યોજનાની રચના કરવા એકસાથે લાવવામાં આવી અને ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના મોડલને રજૂ કરવામાં આવ્યું. તદુપરાંત પાણીનું બજેટ, પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી અને જળ સુરક્ષા યોજના પણ તૈયાર કરવામાં આવી હતી. વાત ખેતીની કરીએ તો, ખેડૂતોને ટપક સિંચાઈની કાર્યક્ષમતા અને મહત્વ સમજાવતા વર્કશોપ આયોજીત કરાયા.
કોડીનારના અંબુજાનગર ખાતે જળ સંસાધન વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં સૂક્ષ્મ સિંચાઈ, પાણીની ગુણવત્તા પરીક્ષણ અને દરીયાઈ ખારાશના પ્રવેશને રોકવા કામ કરવામાં આવે છે. ACF એ અત્યાર સુધીમાં 227 ચેકડેમ, 119 તળાવો અને 4022 RRWHS ના બાંધકામ કર્યા છે, દરિયાકાંઠાના 78 ગામોને ઘરેઘરે નળ કનેક્શન અપાયા છે તેમજ કુલ 6393 હેક્ટર ખેતીની જમીન ટપક સિંચાઈ હેઠળ આવરી લેવાઈ છે.
સતત કરવામાં આવતા ACF ના વિવિધ ઉપક્રમોને પગલે અહીં પાણીના TDSનું સ્તર 1200 mg/liter જેટલું નીચું આવી ગયું છે. ભૂગર્ભ જળસ્તર 2 થી 12 મીટરની રેન્જમાં વધ્યું છે. 151 ગામોમાં 15,600 હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં ખારાશ અટકી છે. એક અભ્યાસ મુજબ ACF ના જળ સંસાધનના સામાજીક કાર્યક્રમોએ કોડીનાર વિસ્તારને 13 ગણું ભારે વળતર આપ્યું છે.
પીપળી ગામના ખેડૂત હરિભાઈ ગોહિલ જણાવે છે કે “ અમે પહેલા વાર્ષિક ફક્ત એક જ પાક લેતા હતા પણ હવે 2 થી 3 મબલખ પાકો લઈએ છીએ. અંબુજા દ્વારા જળ વ્યવસ્થાપન કરાતા અમારા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. વળી કૃષિ ઉપજમાં વધારો થતા આર્થિક લાભ પણ થયો છે“.
ફાઉન્ડેશનના કાર્યક્રમથી પાણી માટે થતા વાર્ષિક ખર્ચમાં ઘટાડાની સાથે પાણીજન્ય રોગોની સારવારનો ખર્ચ પણ ઘટ્યો છે. લોકો ઉત્પાદક પ્રવૃત્તિઓ કરતા થયા છે. મહિલાઓ સમયનો સદુપયોગ અન્ય આવક મેળવવામાં કરે છે. કન્યાઓ શાળામાં જઈ ઉજ્વળ ભાવિ નિર્માણ કરી રહી છે.
અદાણી ગ્રૂપની અંબુજા સિમેન્ટ કંપનીએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં સંખ્યાબંધ સરાહનીય કામગીરી કરી છે. કંપનીએ ESG ફૂટપ્રિન્ટને વધારવા વેસ્ટમાંથી બેસ્ટ કરવાની પ્રતિબદ્ધતા મજબૂત કરતા કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કર્યું છે. કોડીનાર સ્થિત અંબુજાનગર પ્લાન્ટમાં ઘન અને પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ દ્વારા વૈકલ્પિક બળતણ થકી ઉર્જા બનાવાય છે. એટલું જ નહી, કંપનીએ અપનાવેલા સફળ મોડેલ દ્વારા પ્લાસ્ટિક કચરાથી થતા પ્રદૂષણના પડકારોને પણ ઘટાડવામાં આવી રહ્યા છે.
Leave a Reply