– આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ
– રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે
આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ શરુ થઈ ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર છે. રાજ્યના બજેટમાં સરકારે નાગરીકોને રાહત આપતા બજેટમાં કરવેરાના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ સરકારનું આ પ્રથમ બજેટ છે.
બજેટમાં નાગરિકો માટે રાહતના સમાચાર
ગુજરાત રાજ્યમાં નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. નાણામંત્રી કનુ દેસાઈએ આજે જુના કરવેરામાં કોઈ વધારો કર્યો ન હતો.
રમત-ગમત, મત્સ્યબંદરો, કૃષિ માટેની જોગવાઈ
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 568 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવા મત્સ્યબંદરોના નિર્માણ વિકાસ માટે તેમજ હાલના મત્સ્ય કેન્દ્રોના આધુનિકરણ માટે 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ સાધનો તેમજ અન્ય યાંત્રિકીકરણ અને અન્ય ઓજારોની સહાય માટે 615 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે 65 કરોડની જોગવાઈ કરાઈ છે. ગૌશાળા, પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના નિભાવ માટે 500 કરોડની જોગવાઈ કરી છે.
રાજ્યના આ શહેરમાં ડૉ. આંબેડકર ભવન બનશે
રાજ્યનું GSDP 42 લાખ કરોડનું કરવાનું લક્ષ્યાંક છે. છેટા ઉદેપુર, ગીર સોમનાથ અને મોરબીમાં ડૉ. આંબેડકર ભવન બનાવવામાં આવશે. મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઈપેન્ડ માટે 16 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાત્માં ગાંધી શ્રમ સંસ્થાનોમાં સેફ્ટી લેબની સ્થાપના કરવામાં આવશે.
રાજ્યમાં મેડિકલ કોલેજ માટે જોગવાઈ
રાજ્યમાં PPP ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા 130 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિલટલ અને અન્ય મેડિકલ કોલેજમાં આધુનિક સાધનો માટે 155 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈએ આજે અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.
જિલ્લા અને તાલુકાઓમાં બનશે સ્પોર્ટસ કોમ્પલેક્ષ
દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં એક તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. આ ઉપરાંત પુરાતત્વ અને સંગ્રહાલય માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રંથાલય અને અભિલેખાગરો માટે 96 કરોડની જોગવાઈ કરાઈ છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી શાળાઓમાં સુવિધા ઉભી કરવામાં આવશે
રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં જુદી જુદી સુવિધા ઉભી કરવા 109 કરોડની જોગવાઇ કરાઈ છે અને નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે.
દિવ્યાંગજનો માટે ખાસ જોગવાઈ કરાઈ
રાજ્યમાં દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખની જોગવાઇની જાહેરાત નાણામંત્રીએ કરી છે.
પ્રવાસન અને યાત્રાધામ સ્થળ માટે જોગવાઈ
અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે.
સૈનિકો માટે નવી યુનિવર્સિટી
સૈનિકો માટે 10 નવી રક્ષાશક્તિ યુનિવર્સિટી નિર્માણ કરવામાં આવશે. નવી પાંચ નર્સીગ કોલેજ સ્થાપવામાં આવશે.
ગૃહ વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જોગવાઈ કરાઈ
ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે 8 હજાર 574 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રોડ નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે
બજેટમાં રોડ નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે. આ ઉપરાંત માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
ત્રણ વર્ષમાં બોર્ડર વિસ્તારનો વિકાસ કરાશે
આ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં બોર્ડર વિસ્તારનો વિકાસ કરવમાં આવશે. સ્વાસ્થ્યની વીમાની મર્યાદા ૫થી વધારી 10 લાખ કરવામાં આવી અને આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ કરાઈ છે. શાળામાં 50 હજાર નવા વર્ગખંડોનો વધારો કરવામાં આવશે. આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. આજે બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ માટે જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ
ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અન્નપુર્ણા શ્રમિક યોજના
અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે
ગુજરાત રાજ્ય દેશનુ ગ્રોથ એન્જિન
નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે.
નાણામંત્રીએ રજૂ કર્યુ બજેટ
નાણામંત્રી કનું દેસાએ ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ. નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વાર બજેટ રજૂ કરી રહ્યા છે.
આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા કહ્યું કે આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.
Leave a Reply