– કોટવાલિયા સમુદાયના લોકોએ ભરૂચમાં પ્રદર્શન કમ તાલીમ અને વેચાણથી મબલખ કમાણી કરી
અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિજાતી વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. ભરૂચના પિંગોટ કોટવાલિયા જાતિના કારીગરોને તેમના પરંપરાગત વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડી આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરી છે. આ સ્વદેશી અને સ્થાનિક સમુદાય હવે ઉદ્યોગસાહસિક બનવા માટે તૈયાર થઈ રહ્યો છે.
તાજેતરમાં ભરૂચમાં અદાણી પોર્ટના કર્મચારીઓની લેડીઝ ક્લબ ખાતે આયોજીત પ્રદર્શન-કમ-તાલીમ વર્ગમાં આ સમુદાયને પ્રથમ વખત શહેરની મુલાકાતે લાવવામાં આવ્યા. અહીં તેમને મળેલા પ્રતિસાદ અને પૈસાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા છે. તેઓ જણાવે છે કે ગામમાં આખો દિવસ મજૂરી કર્યા પછી પણ આટલી કમાણી કરી શક્યા નથી જેટલી એક દિવસમાં અહીં મળી છે.
નેત્રંગ તાલુકાના પિંગોટ કોટવાલિયા સમુદાયના લોકોનું અર્થતંત્ર મોટાભાગે વન્ય સંસાધનો પર નિર્ભર છે. સદીઓથી તેઓ વાંસની બનાવટો, બાસ્કેટ અને અન્ય નાની-મોટી કલાકૃતિઓ બનાવતા આવ્યા છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે તેમને પોતાના ઉત્પાદનો વેચવા વચેટિયાઓની મદદ લેવી પડતી હતી, એટલે તેમને વાજબી કિંમત મળતી ન હોવાથી તેમનું ભારે શોષણ થતું હતું. જો કે અદાણી ફાઉન્ડેશને આવા લોકોની ઓળખ કરી તેમને તાલીમ અને માર્કેટ લિન્કેજ સપોર્ટ આપી મદદરૂપ થયું છે.
દહેજ યુનિટના ફાઉન્ડેશનના CSR હેડ ઉષા મિશ્રા જણાવે છે છે કે “અમે સરકારના આદિજાતિ વિભાગના સૂચનો બાદ પિંગોટની મુલાકાત લઈ કોટવાલિયા સમુદાયની મુશ્કેલીઓ જાણી. અમે તેમની ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરી સારી કમાણી કરવાના પ્લેટફોર્મ વિશે જાણકારી આપી જેનાથી તેઓ સાંપ્રત વ્યાપાર પદ્ધતિઓથી વાકેફ થયા છે.
તેમના ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરવા આધુનિક સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે. વળી ઉત્કૃષ્ટ બનાવટોને યોગ્ય પ્લેટફોર્મ આપવા અગ્રણી લોકોને વેચવા બહાર લઈ જવાશે. મિશ્રા જણાવે છે કે “જંગલમાંથી કાચો માલ મેળવવામાં પણ તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અગર સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિમાં તેમને પ્રાધાન્ય મળે તો તે વધુ સરળ બનશે.” કોટવાલિયા સમુદાય ફાઉન્ડેશનના કાર્યોથી ખુબ જ ખુશ છે.
જો કે મિશ્રા ઉમેરે છે કે “કોટવાલિયા સમુદાયના ઉત્થાન માટે હજુ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. અમારા બંદરો પર કોર્પોરેટ ગિફ્ટિંગની ખૂબ જ માંગ છે, અમને પહેલેથી જ ખરીદીનો ઓર્ડર મળ્યો છે. તેઓ ભરૂચમાં વિવિધ સરકારી પ્રદર્શનોમાં પણ ભાગ લેતા રહેશે. તેમના જૂથની રચના બાદ સરકારના આજીવિકા મિશન હેઠળ નોંધણી કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ 30,000 રૂપિયાના ભંડોળ મેળવવા પાત્ર બનશે. એટલું જ નહી, તેઓ બ્લોક સ્તરે પોતાની દુકાનો પણ ખોલી શકશે”
Leave a Reply