– આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હી એરપોર્ટ પર પહોંચીને માહિતી મેળવશે
ભારત સરકારે 24 ડિસેમ્બરથી કોરોનાવાયરસ માટે દેશના તમામ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઝડપી પરીક્ષણ શરૂ કર્યું છે. આ દરમિયાન કુલ 498 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગ માટે 1780 સેમ્પલ લેવામાં આવ્યા હતા. એકત્ર કરાયેલા તમામ સેમ્પલની સંખ્યા 3994 છે, જેમાંથી 39 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
બોધગયામાં 5 વિદેશીઓ સંક્રમિત મળ્યા
બે દિવસ પહેલા 26 ડિસેમ્બરે બિહારના બોધગયાની યાત્રાએ આવેલા પાંચ વિદેશી નાગરિકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ચાર થાઈલેન્ડ અને એક મ્યાનમારનો હોવાનું જાણવા મળ્યુ છે. ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો વચ્ચે સરકારે દરેક ફ્લાઇટમાં કુલ મુસાફરોના બે ટકાના આગમન પછી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે દેશના મોટાભાગના રાજ્યોમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.
મનીષ સિસોદિયાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
આ વચ્ચે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડ માટે આયોજિત મોક ડ્રિલની સમીક્ષા કરવા માટે એલએલજેપી હોસ્પિટલની મુલાકાત લીધી. તેલંગાણાની રાજધાની હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુના ગાંધીનગર એમસીએચ હોસ્પિટલમાં પણ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ મોક ડ્રીલની સમીક્ષા કરવા સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આગામી 40 દિવસ નિર્ણાયક
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડમાં વધારો જોવા મળી શકે છે અને આગામી 40 દિવસ ખુબ જ નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. ભારતમાં જાન્યુઆરીના મધ્યમાં કોવિડ -19 કેસોમાં વધારો જોવા મળી શકે છે. વિદેશથી આવતા પ્રવાસીઓમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હી એરપોર્ટ પર પહોંચીને માહિતી મેળવશે.
Leave a Reply