– ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ
– વાદળછાયા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી
છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સુકુ રહેવાની પણ સંભાવના છે. આજે રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે ડબલઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. હાલમાં ઠંડીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે 15 ડિસેમ્બરે મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે 16મી ડિસેમ્બરે વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં પલટો જોવા મળી શકે છે.આજે અમદાવાદના પાલડી, વાસણા, સેટેલાઈટ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે.
17મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થશે
હાલમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા વાતાવરણ પર અસર થઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. 17મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થતાં જ ઠંડીમાં વધારો જોવા મળશે. હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે.
માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી
વાદળછાયા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠું થાય તો ઘઉં, ચણા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે એવી સંભાવના છે. હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતોએ લીલા શાકભાજી, રાઈડો સહિતના ઘણા પાકો વાવ્યા છે. જેથી માવઠાને કારણે પાકને નુકસાન પહોંચી શકે છે.
Leave a Reply