– ભારતે આપ્યો જડબાતોડ જવાબ
– જમ્મુ-કાશ્મીર મુદ્દે બોલતા પહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદથી ‘સરહદ પાર આતંકવાદ’ને રોકવો જોઈએઃ મિજિટો વિનેટો
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનને તેના જ અંદાજમાં જવાબ આપ્યો છે. ભારતે આ દરમિયાન કહ્યું હતું કે, ભારત ઉપર ખોટા આરોપો લગાવતા પહેલા પાકિસ્તાને પોતાના દેશની હાલત જોવી જોઈએ. ભારતે સ્પષ્ટતા કરી હતી કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે બોલતા પહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદથી ‘સરહદ પાર આતંકવાદ’ને રોકવો જોઈએ. ભારતના મુખ્ય રાજદૂત મિજિટો વિનેટોએ આ વાત ભારત તરફથી કહી હતી. તેમણે આ જવાબ માટે સંયુક્ત મહાસભામાં ‘રાઈટ ઓફ રિપ્લાઈ’નો ઉપયોગ કર્યો હતો. વિનિટોએ કહ્યું હતું કે, ‘પાકિસ્તાનામાં જ્યારે દલિત સમુદાયની હજારો મહિલાઓનું ઈરાદાપૂર્વક અપહરણ કરવામાં આવે છે ત્યારે આવી માનસિકતા ઉપર આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે કે પાકિસ્તાનના વડાપ્રધાને આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારત ઉપર ખોટા આરોપો લગાવવા માટે કર્યો છે. તેમણે આવું એટલા માટે કર્યું જેથી તે પોતાના દેશમાં બની રહેલી ઘટનાઓ ઉપર પડદો પાડી શકે અને ભારત સામેની પોતાની વર્તણૂકને યોગ્ય ઠેરવી શકે જે સમગ્ર વિશ્વને સ્વીકાર્ય નથી. તેમણે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક દેશ જે દાવો કરે છે કે તે પોતાના પડોશીઓ સાથે શાંતિ ઈચ્છે છે, તે ક્યારેય સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરશે નહીં અને મુંબઈ આતંકવાદી હુમલાના આયોજકોને આશ્રય આપશે નહીં.
પાકિસ્તાને ભારત ઉપર લગાવ્યા હતા ખોટા આરોપ
આ જવાબ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સહિત પોતાના તમામ પડોશી દેશો સાથે શાંતિ ઈચ્છે છે પરંતુ દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા કાશ્મીર મુદ્દાના યોગ્ય અને કાયમી ઉકેલ ઉપર નિર્ભર કરે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરતા શરીફે દાવો કર્યો હતો કે, 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને બદલવાના ભારતના ‘ગેરકાયદેસર અને એકતરફી’ પગલાએ શાંતિની સંભાવનાઓને વધુ નબળી બનાવી છે અને પ્રાદેશિક તણાવને ભડકાવ્યો છે.
બંને દેશો પાસે આધુનિક હથિયારઃ પાક
શરીફે કહ્યું હતું કે, મને લાગે છે કે આ યોગ્ય સમય છે જ્યારે ભારતે આ સંદેશને સ્પષ્ટ રીતે સમજવો જોઈએ કે બંને દેશો હથિયારોથી સજ્જ છે. યુદ્ધ કોઈ વિકલ્પ નથી. માત્ર શાંતિપૂર્ણ સંવાદ જ આ મુદ્દાઓનો ઉકેલ કરી શકે છે જેથી આવનારા સમયમાં વિશ્વ વધુ શાંતિપૂર્ણ બને.
Leave a Reply