– નખત્રાણાની પ્રસૂતાના ગર્ભાશયમાં દોઢ લી. લોહીની ગાંઠ, બાળકનું પેટમાં મૃત્યુ, ક્ષતિગ્રસ્ત કિડની અને આંખ, હાઈ બી.પી. વિગેરેની સારવારના અંતે માતાને બચાવાઈ
જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ગાયનેક વિભાગે નખત્રાણાની ગર્ભવતી માતાનો પાંચ વિવિધ જોખમોથી સુપર ક્રીટિકલ (અત્યંત જટીલ) બની ગયેલો કેસ જુદા જુદા વિભાગોની મદદથી દસ દિ’ ની સારવારના અંતે પ્રસુતાને બચાવી લેતા સ્ત્રીરોગ વિભાગે સીમાચિહનરૂપ કામ કરી દ્ર્ષ્ટાંત સ્થાપિત કર્યો હતો.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત અને આસી. પ્રોફેસર ડો. સુરભી આર્યાએ અને તેમની ટીમે કરેલી સફળ સારવારને વિગતો આપતા જણાવ્યુ હતું કે નખત્રાણાના ૨૩ વર્ષીય રઝિયાબેન હોસ્પિટલમાં આવ્યા ત્યારે બી.પી. હાઈ હતું, એનેમિયા પણ હતો, ગર્ભાસયની મિલી છૂટી પડી જવાથી ૧.૫ લી. લોહીની ગાંઠ થઈ ગઈ હતી, પરિણામે બાળક મૃત્યુ પામ્યું હતું. દર્દીની કિડની ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને જો કિડની વધુ બગડે તો શરીરમાં ઝેર પ્રસરે અને દર્દીનુ મૃત્યુ પણ થઈ શકે. અધુરામાં પૂરું હાઈ બી.પી. ને કારણે આંખને પણ મોટું નુકશાન થયું હતું.
આટલી મોટી શારીરિક ગુંચવણ વચ્ચે દર્દીની સારવાર શરૂ કરી મેડિસિન વિભાગ બાદ નેફ્રોલોજિસ્ટ ડો. હર્સલ વોરાના માર્ગદર્શન હેઠળ ડાયાલીસીસ શરૂ કર્યું, દર બીજા દિવસે એમ કુલ પાંચ ડાયાલીસીસ કરવામાં આવ્યા હતા જો કે હજુ એક મહિનો દર્દીને ડાયાલીસીસની સારવાર લેવી પડશે.
આ દરમ્યાન આઠ બોટલ લોહી ચડાવવામાં આવ્યું અને દર્દીના ફેફસામાં પાણી ભરાઈ જવાથી તેને ૬ દિવસ વેન્ટિલેટર ઉપર રાખવામા આવ્યો હતો સાથે સાથે દર્દીના લોહીમાં ચેપ થવાથી તેની પણ સારવાર કર્યા બાદ આંખ માટે તજજ્ઞની મદદ લઈ સઘન સારવાર કરી હતી. આટલી સારવાર સાથે દર્દીને સામાન્ય ડિલિવરી થતાં ગાયનેક વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. આ સફળ સારવારમાં રેસિ. ડો. તૃપાંગી ચૌધરી, ડો. વિન્સી ગાંધી, અને ડો. વૃંદા તંતી જોડાયા હતા.
Leave a Reply