– એસસીઓની આગામી બેઠકનું પ્રમુખપદ ભારત સંભાળશે
– ભારત તેના ૭૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ સાથે ટેક્નોલોજીકલ અનુભવ એસસીઓના સભ્ય દેશો સાથે શૅર કરવા તૈયાર : પીએમ
ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી ઊંચો વૃદ્ધિદર હશે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) બેઠકમાં શુક્રવારે કહ્યું હતું. દરમિયાન આઠ સભ્યોના સંગઠનના ફરતા પ્રમુખપદના ભાગરૂપે એસસીઓની આગામી બેઠકનું પ્રમુખપદ ભારત સંભાળશે. ઉઝબેકિસ્તાને ભારતને શુક્રવારે પ્રમુખપદ સોંપ્યું હતું.
ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં શુક્રવારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત એસસીઓના સભ્ય દેશો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. કોરોના મહામારી અને યુક્રેન સંકટના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો ઊભા થયા છે, તેના કારણે આજે આખું વિશ્વ અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. એસસીઓએ આપણા ક્ષેત્રમાં વિશ્વસનીય રેઝિલિયન્ટ અને ડાયવર્સિફાઈડ સપ્લાય ચેઈન વિકસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેના માટે વધુ સારી કનેક્ટિવિટીની જરૂર છે. સાથે જ આપણે એકબીજાને ટ્રાન્ઝિટનો અધિકાર આપીએ તે પણ જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પીપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટ મોડેલમાં ભારત ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ પર પણ ફોકસ કરી રહ્યું છે. દરેક સેક્ટરમાં ભારત ઈનોવેશનનું સમર્થન કરી રહ્યું છે. ભારતમાં આજે ૭૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી ૧૦૦થી વધુ યુનિકોર્ન છે. અમે અમારો આ અનુભવ અન્ય એસસીઓ સભ્યોને કામ આવી શકે છે. આ આશયથી જ અમે એક નવું વિશેષ વર્કિંગ ગૂ્રપ ઓન સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશનની સ્થાપના કરીને એસસીઓના સભ્ય દેશો સાથે પોતાનો અનુભવ શૅર કરવા માટે તૈયાર છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વ આજે નાગરિકોની ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવાના વધુ એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાનું એક સંભવિત સમાધાન મિલેટ્સ એટલે કે બાજરાની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે. મિલેટ્સ એક એવું સુપરફૂડ છે, જેની ખેતી માત્ર એસસીઓ દેશોમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હજારો વર્ષોથી થઈ રહી છે અને ખાદ્ય સંકટના નિવારણ માટે પારંપરિક પોષાક અને ઓછા ખર્ચવાળો વિકલ્પ છે. વર્ષ ૨૦૨૩માં યુએન આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઊજવશે. આપણે એસસીઓ હેઠળ એક મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા વિચાર કરવો જોઈએ.
દરમિયાન આઠ સભ્યોના એસસીઓના ફરતા પ્રમુખપદના ભાગરૂપે ઉઝબેકિસ્તાને સમરકંદમાં શુક્રવારે ભારતને આગામી પ્રમુખપદ સોંપ્યું હતું. ઉઝબેક વિદેશ મંત્રી વ્લાદિમિર નોરોવે ટ્વીટ કરીને જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં આગામી એસસીઓ સમિટના અધ્યક્ષ તરીકે ભારત આગામી બેઠકનું આયોજન કરશે. બેઠકના આયોજન માટે અમે ભારતને શક્ય તમામ મદદ કરીશું. ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ આગામી પ્રમુખપદ માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે ચીન પણ ભારતને બેઠકના આયોજનમાં શક્ય તમામ મદદ કરશે.
Leave a Reply