– કોરોનાકાળ દરમિયાન જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઈ અને ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશમૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી
– ગણપતિ સ્થાપનમાં નહીં નડે કોઈ વિઘ્ન
દેશમાં કોરોનાકાળ દરમિયાન તેનું ગ્રહણ અનેક એવા તહેવાર પર લાગ્યું હતું. કોરોના સંક્રમણને કારણે અનેક એવા તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે ગુજરાતમાં કોરોનાથી લોકોને રાહત મળી છે ત્યારે આગામી ગણેશોત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકારે આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના તમામ નિયંત્રણો દૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લઈને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવેલી હતી. જેમાં જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઈ અને ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશમૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી.
કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.31 માર્ચ 2022 બાદ અમલમાં નથી તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઈ સંબંધે કોઈ નિયંત્રણો અમલમાં રહેશે નહિ. આ સાથે જ ગણેશજીની મૂર્તિ બનાવવા અને તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.
Leave a Reply