– મોદી સરકારનો આ નિર્ણય રોજગારીની માંગ કરી રહેલા યુવાનો માટે ખૂબ જ મહત્વનો છે
રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવતઃ હવે આ સંકટને દૂર કરવા માટે એક યોજના તૈયાર કરી રહી છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. PMO ઈન્ડિયા એકાઉન્ટ દ્વારા આ સબંધે જાણકારી આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધનની સમીક્ષા કરી છે. તેની સાથે જ તેમણે સરકારને આદેશ આપ્યો છે કે, આગામી દોઢ વર્ષમાં તેના પર મિશન મોડ પર કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.
મોદી સરકારનો આ નિર્ણય રોજગારીની માંગ કરી રહેલા યુવાઓ માટે ખૂબ જ મહત્વનો છે. પટના, અલ્હાબાદ જેવા શહેરોમાં યુવાવર્ગ રેલવે ભરતી માટે પ્રદર્શન કરી ચૂક્યા છે. મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારનું આ એલાન સરકારી નોકરીની ઈચ્છા રાખનારા યુવાનો માટે મોટી ખૂશખબરી છે.
2020માં જ 9 લાખ જેટલી જગ્યાઓ ખાલી હતી, લાંબા સમય બાદ થશે આટલી ભરતી
ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના વિભાગોમાં 1 માર્ચ, 2020 સુધી 8.72 લાખ જગ્યાઓ ખાલી હતી. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડા વધીને 10 લાખ સુધી પહોંચી ગયા હશે જેની ભરતી માટે પીએમ નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર જગ્યા છે જેમાંથી 31 લાખ 32 હજારની નજીક કર્મચારી નિયુક્ત છે. આમ 8.72 લાખ પદો પર ભરતીની જરૂર છે. આટલું જ નહીં 2016-17થી 2020-21 દરમિયાન ભરતીઓના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, એસએસસીમાં કુલ 2,14,601 કર્મચારીની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત આરઆરબીએ 2,04,945 લોકોની નિયુક્તિ આપી છે. બીજી તરફ UPSCએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.
Leave a Reply