– અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં ત્રણ અંગદાન
– છેલ્લા 6 મહિનામાં 51 અંગદાન: અત્યાર સુધીમાં 58 વ્યક્તિઓના 221 અંગોના દાન દ્વારા 159 વ્યક્તિઓને નવજીવન મળ્યું
– દેશની સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં કુલ 11 વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે- સિવિલ સુપ્રીટેન્ડન્ટ
‘અંગ દાન,મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા.
58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના 25 વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમે પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. એ સમાજમાંથી આ યુવકનો પરિવાર હોવા છતા સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે અબ્દુલના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઈબાદત સમર્પિત કરી છે.
મુસ્લિમ યુવકને બ્રેઈનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઈ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો ‘કલમા પઢી રહ્યા હતા’ જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરતા સર્વ ધર્મ સમભાવના દ્રશ્યો સર્જાયા હતા.
સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઈ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઈન હેમરેજ, અબ્દુલ ભાઇ ખલીફાને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઈન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ તમામ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી હતી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, કોઇપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ 11 વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર 36 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીનામાં 11 અંગદાન થકી કુલ 19 કીડની, કુલ 10 લીવર, 1 સ્વાદુપિંડ, 2 હ્રદય તેમજ 4 ફેફસા મળી કુલ 36 અંગોનુ દાન મળ્યુ છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ 58 વ્યક્તિઓના અંગદાન થકી 221 અંગોનું દાન મેળવવામાં આવ્યુ છે જે થકી 159 વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના વ્યારા પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે. તથા હોસ્પિટ્લમાં આ અંગે જરુરી માળખાકીય સુવિધા ઉભી કરી તેમજ વધુમાં વધુ લોકોમા પ્રવર્તેલી જાગરૂકતાના ફળ સ્વરુપે 7 મહીનાના ટુંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે 50 અંગદાનની રેકોર્ડ કામગીરી કરી કેટલાય લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનુ ભગીરથ કામ થયું છે. આવા કર્મવીરોને સો સો સાલામ છે.
Leave a Reply