– બહેન આવ્યા હતા માનસિક રોગનું પ્રમાણપત્ર લેવા પણ સારી સારવાર થયાનું મનોમન પ્રમાણપત્ર આપી ગયા
– મનોચિકિત્સા વિભાગે આપી સારવાર
જી.કે. જનરલ હોસ્પિટલમાં બે માસ અગાઉ બી.એસ.એફ.ના એક જવાનને દારૂની લત છોડાવ્યા બાદ વધુ એક બહેનને છેલ્લા આઠ વર્ષથી માનસિક તણાવ(ડિપ્રેશન)ને કારણે તમાકુ ખાવાની લાગેલી આદતને માનસિક સારવાર આપી અલવિદા કરાવી દેતા આ પ્રકારના માનસિક દર્દીઓ જી.કે.ના માનસિક રોગ(સાઇકિયાટ્રીક)વિભાગમાં સારવાર લેતા થયા છે.
ભુજ-નખત્રાણા હાઇ-વે ઉપર આવેલા મોટા અંગિયા ગામના ૪૫ વર્ષના બહેનને કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં સરી જવાથી તંબાકુ-પડીકી ખાવાની કુટેવ પડી ગઈ હતી. જી.કે.ના મનોચિકિત્સક વિભાગના ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, બહેન આ તમાકુના બંધાણથી છૂટવા ઇચ્છતા હતા. પરંતુ, માનસિક રોગને કારણે જરાસરખી પણ બેચેની થાય કે, તંબાકુ લઈ લેતા એટ્લે તેઓ બંધાણ છોડી શકતા નહોતા. રાજકોટ- ભુજ સહિતની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ આવ્યા હતા.
તબીબે કહ્યું કે, બહેન આમ તો, પોતે માનસિક રોગી છે. એવું સર્ટિફિકેટ લેવા આવ્યા હતા. તબીબે તેમને પ્રમાણપત્ર આપવાની હા પાડી પરંતુ, માનસિક રોગની સારવાર લેવા પણ જણાવ્યુ. બહેન સહમત થયા અને બે મહિના સતત સારવાર લીધી. તમાકુ લેવાનું કારણ માનસિક રોગ હતો. એવું તબીબને વાતચીતમાં જણાયું. જેમ કે, ડર લાગવો, ગુમસુમ રહેવું, ઊંઘ ન આવવી, આવું સતત ૮ વર્ષોથી રહેતું આ લક્ષણો જાણી ડો. એ માનસિક સારવાર આપી. અને માનસિક લક્ષણો કંટ્રોલ થતાં તંબાકુનું વ્યસન છૂટવા લાગ્યું. હવે લગભગ સંપૂર્ણ છૂટી ગયું છે.
આમ બહેન લેવા આવ્યા હતા પ્રમાણપત્ર અને જી.કે.ને મનોમન સર્ટિ આપી ગયા કે, તમે સારું કામ કરો છો. અદાણી મેડિકલ કોલેજના પ્રો.ડો. મહેશ ટીલવાણી અને મહિલા મનોચિકિત્સક ડો. રિધ્ધિ ઠક્કરે કહ્યું કે, ઘણી વાર માનસિક બીમારીને કારણે વ્યસનનું બંધાણ થઈ જાય છે. પરંતુ, જો યોગ્ય નિદાન કરી તેમને માનસિક સારવાર મળે તો વ્યસન આપોઆપ છૂટી જતું હોય છે. એવું જ આ કિસ્સામાં થયું છે.
Leave a Reply