– નાગરિક નમૂનો લઇને આવશે તો વિનામૂલ્યે ટેસ્ટ, 22 વાન કાર્યરત
– તળેલું તેલ, દૂધ, પેકિંગમાં મળતું પીવાનું પાણી, જ્યુસ, શરબત તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી કરાશે
ગુજરાતમાં ફુડ સેફ્ટિ માટે રાજ્યના તમામ જિલ્લામાં ફુડ ટેસ્ટિંગ મોબાઇલ લેબોરેટરી વાન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. હાલના તબક્કે આજે 22 જેટલી વાન શરૂ કરી દેવામાં આવી છે. આ વાનમાં તમામ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં લેબોરેટરી વાન શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં કેન્દ્ર પુરસ્કૃત વધુ 13 મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે.
રાજ્યના કોઇપણ નાગરિકને અશુદ્ધ કે ભેળસેળ યુક્ત ખોરાકની શંકા હોય તો તેઓ આ મોબાઇલ વાનમાં વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાવી શકે છે. એટલું જ નહીં નમૂનો ભેળસેળયુક્ત જણાશે તો સેમ્પલ લઇને જે તે વેપારી કે વ્યક્તિ સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે.
ગુજરાત સરકારે 2013માં બે ફુટ સેફ્ટિ વાન કાર્યરત કરી હતી અને આજે વધુ 13 મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પુરો પાડવામાં આવશે. આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સજ્જ છે.
મોબાઇલ વાનના સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.
ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે.
આ ઉપરાંત પેકિંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટીડીએસની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. જેમાં ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો ખાંડની માત્રાનું પ્રમાણ વધુ હોય તો નમુનો લઈ ચકાસણી કરાશે. અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
Leave a Reply