– આઝાદીના સંઘર્ષનું સાક્ષી રહ્યું છે ગુજરાતઃ રાષ્ટ્રપતિ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. ત્યાર બાદ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ધારાસભ્યોને સંબોધનનો આરંભ થયો.
રાષ્ટ્રપતિનું સંબોધન
વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી રાષ્ટ્રગાનની ધૂન સાથે સત્રની કાર્યવાહી શરૂ થઈ હતી. તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારૂં સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને બાપુની જન્મભૂમિ, ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમારોહ ત્યારે આયોજિત થયો છે, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભે ગુજરાતથી વધીને કોઈ મોટું સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દેશની આઝાદી માટે દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો જેને ગુજરાતના લોકોએ મજબૂત સહકાર આપ્યો. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં ક્યાંય પણ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે અને તે સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે.
ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયા
રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વખાણ કર્યાં હતા અને સાથે એમ પણ કહ્યું હતું કે દેશના લોકોના મનમાં સરદાર પટેલ પ્રત્યેનું માન તેમની પ્રતિમા કરતાં પણ ઉંચું છે. ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે. સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત, આ ખમીરવતું રાજ્ય છે. તમામ મંત્રી, પૂર્વ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીને ગુજરાતના વિકાસ માટે અભિનંદન આપું છું. ગુજરાત આઝાદીના સંઘર્ષનું સાક્ષી છે. મહાત્મા ગાંધીએ ના માત્ર દેશને આઝાદી અપાવી પરંતુ વિશ્વને એક નવી દિશા આપી છે. બાપુના અહિંસા, સત્યાગ્રહ મંત્ર વિશ્વમાં પ્રચલિત છે. બારડોલી સત્યાગ્રહથી લોહપુરૂષ સરદાર પટેલે દેશને દિશા આપી છે.
ગુજરાતે વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો આપ્યા
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએને યાદ કર્યું હતું. સાથે જ પાલીતાણા, ગીર, વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે તેમ પણ કહ્યું હતું. વધુમાં કહ્યું કે, વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. ગુજરાતે વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો આપ્યા છે. શ્વેત ક્રાંતિના કારણે સમગ્ર દેશમાં દૂધ વ્યવસ્થાનું ચિત્ર બદલાયું.
કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું
રાષ્ટ્રપતિ કોવિંદે ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. આગળ જણાવ્યું કે, 1970થી ગુજરાત સાથે સંબંધ છે. મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું. ગુલઝારી લાલ નંદાની કર્મભૂમિ પણ ગુજરાત છે. ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પંચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ. નીમા બેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પ્રથમ મહિલા સ્પીકર મળ્યા છે.
Leave a Reply