– ડોકટર તરીકે સામાજિક જવાબદારી જરૂર નિભાવજો
ભુજ અદાણી મેડિકલ કોલેજે તબીબી ક્ષેત્રે વધુ ૧૪૮ ડોક્ટરો તૈયાર કરી સમાજને અર્પણ કર્યા હતા. એ સાથે અત્યાર સુધી કચ્છની આ કોલેજે ૮ બેચ મારફતે ૧૨૦૦ તબીબો તૈયાર કર્યા છે.
અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા ૨૦૨૨ મેડિકલ ગ્રેજ્યુએટ ડિગ્રી એનાયત કાર્યક્ર્મમાં સ્નાતક તબીબોને પ્રમાણપત્ર અને એવોર્ડ અર્પણ કરતાં શ્યામજી ક્રુષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.જયવીરસિંહ જાડેજાએ તબીબી દુનિયામાં જોડાતા નવા ડોકટર્સને હોળીના દિવસે શીખ આપીને કહ્યું કે, મનોવિકારનું દહન કરી દેજો પરંતુ, હવે જ્યારે ડોક્ટર બની ગયા છો ત્યારે સામાજિક જવાબદારી જરૂર પ્રાગટ્ય કરજો. કારણ કે, તબીબનો વ્યવસાય ઉમદા છે. તેને ભગવાનનો દરજ્જો મળ્યો છે.એટ્લે તમારું હસતું મોઢું જોઈ દર્દીનુ અડધું દૂ;ખ તો આપોઆપ દૂર થઈ જશે.
તબીબોને નૈતિક્તાની દુહાઈ આપી ઉપકુલપતિએ વધુમાં કહ્યું કે, ભેદભાવ વગર દર્દીનો ઈલાજ કરજો. સાંત્વના,અનુકંપા, કુશળતા અને ખાસ કરીને સ્વાસ્થ્ય પરત્વે લોકોને શિક્ષિત કરવાની જવાબદારી નિભાવવાનો અનુરોધ કરી જાતે શીખવાની તમન્ના રાખજો. અને જેમને ડોક્ટર્સ બનાવવા જિંદગી ખર્ચી નાખી છે. એવા માતા-પિતાને ક્યારેય ન ભૂલવા જણાવ્યુ હતું.
મુખ્ય મહેમાન પદેથી બોલતા ગેઇમ્સના ટ્રસ્ટી અને ડાયરેક્ટર શ્રી.વી.એસ.ગઢવીએ દર્દીની સેવામાં કદમ માંડતા નવા તબીબોને સફળતાનો મંત્ર આપતા જણાવ્યુ હતું કે, દર્દીની સારવાર સાથે કાઉન્સેલર પણ બનવું એટલું જ અગત્યનું છે. કારણ કે, તેનાથી દર્દીની રોગ સામે લડવાની ક્ષમતા વધી જાય છે. આજે ટેકનૉલોજી જરૂર વધી છે. પણ દર્દી પરત્વે લાગણીશીલતાની એટલી જ આવશ્યકતા છે. તેમણે ભગવાન બુધ્ધને ટાંકીને કહ્યું કે, તમે જે બોલો છો એના ઉપર સંપૂર્ણ શિસ્ત, સંયમ અને સમર્પણ મેળવશો તો જરૂર સફળ બનશો.
જી.કે. જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, અદાણી મેડિકલ કોલેજની ૨૦૧૬ની વર્તમાન બેચે શૈક્ષણિક સહિત દરેક રચનાત્મક ક્ષેત્રે શ્રેષ્ઠ સિધ્ધી હાંસલ કરી છે. એ બદલ અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ત્યાએ દરેકે નૈતિક મૂલ્યો જાળવી રાખવા ઉપરાંત નવું જાણવાની ઉત્કંઠા અને માનવીય અભિગમને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
આ તબક્કે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણીએ નવા તબીબોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, તબીબ અને માનવી તરીકે જાતને એટલી ઊંચાઈએ લઈ જાઓ કે, કચ્છ અને ગેઇમ્સ તમારા ઉપર ગર્વ કરે.
પ્રારંભમાં અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે નવા તબીબોને દીક્ષાંત આપતા કહ્યું કે, સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. એમ જણાવી તેમણે ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હીરાણી સાથે નવા તબીબોને ચરક પ્રતિજ્ઞા લેવડાવી હતી
આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. જે.એમ.બુટાણી, એડિ.ડીન. ડો. એન.એન.ભાદરકા, એડિ. કલેક્ટર હનુમંતસિંહ જાડેજા, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, તબીબો, વિધાર્થીઓ અને નવા તબીબોના વડીલો સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને આભારદર્શન એનાટોમી વિભાગના પ્રો. નિવેદિતા રોયે કર્યું હતું. કાર્યક્રમનુ સંચાલન આયુષી વિરાણી અને મનાંગ ખાખરીયાએ કર્યું હતું. નવોદિત તબીબો ડો. મયુરસિંહ જાડેજા, ડો. મહિમા દવે ડો. નિષ્ઠા શાહ, ડો.જય ગઢવી,ડો. ઋત્વિજ મહેતા, ડો.સેલ્વી પટેલ, વિગેરેએ પ્રતિભાવ આપ્યા હતા. મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને મોમેન્ટો તથા એમ.બી.બી.એસ.માં સમગ્રતયા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ડો. નિરંજના ધનરજાણીને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૬ની બેચમાં વર્ષ મુજબ ૧૧ ગોલ્ડ અને ૧૧ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
Leave a Reply